Matthew 26

1ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2‘તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખા પર્વ છે; અને માણસના દીકરા [ઈસુને] વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.’

3પછી મુખ્યયાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખયાજકની કચેરીમાં એકત્ર થયા. 4ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. 5પણ તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.’

6ઈસુ બેથનિયામાં સિમોન કુષ્ઠરોગીના ઘરમાં હતા, 7ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્ત્રી ઈસુની પાસે આવી, તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુના માથા ઉપર તેણે અત્તર રેડ્યું. 8જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, ‘એ બગાડ શા માટે?’ 9કેમકે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.

10ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે, ‘એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમકે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.’ 11કેમકે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

12તેણે અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે. 13હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખા જગતમાં જ્યાં કહીં પ્રસિદ્ધ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’

14ત્યારે યહુદા ઇશ્કરિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્યયાજકોની પાસે જઈને 15કહ્યું કે, ‘તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?’ તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

17બેખમીર રોટલીના [પર્વને] પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઈચ્છા છે?’ 18ત્યારે ઈસુએ કહ્યું કે, ‘નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સુદ્ધાં તારે ઘેર પાસ્ખા પાળીશ.’ 19ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.

20સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમારામાંથી એક મને પરાધીન કરશે.’ 22ત્યારે તેઓ ઘણા દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, ‘પ્રભુ, શું તે હું છું?’

23ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘જેણે મારી સાથે થાળીમાં હાથ મુક્યો છે તે જ મને પરાધીન કરશે. 24માણસના દીકરા સબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે; જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે સારૂ હોત.’ 25ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહુદાએ પૂછ્યું કે, ‘ગુરુજી, શું તે હું છું?’ ઈસુ તેને કહે છે કે, ‘તેં પોતે જ કહ્યું.’

26તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, લો, ખાઓ, આ મારું શરીર છે.

27પછી ઈસુએ પ્યાલો લઇને સ્તુતિ કરીને તેઓને આપતાં કહ્યું કે, ‘તમે બધા એમાંથી પીઓ.’ 28કેમકે એ [નવા] કરારનું મારૂં રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. 29હું તમને કહું છું કે, ‘હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.’

30તેઓ ગીત ગાયા પછી જૈતૂનના પહાડ પર ગયા. 31ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘તમે બધા આજ રાત્રે મારા સબંધી ઠોકર ખાશો;’ કેમકે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.’ 32‘પણ મારા ઉત્થાન પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’

33ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, ‘જો બધા તમારા સબંધી ઠોકર ખાશે, તોપણ હું કદી ઠોકર ખાઈશ નહિ.’ 34ઈસુએ તેને કહ્યું, ‘હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.’ 35પિતર તેને કહે છે કે, ‘જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ. બધાં શિષ્યોએ પણ તેમજ કહ્યું’

36ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે અને શિષ્યોને કહે છે કે, ‘હું ત્યાં જઈને પ્રાર્થના કરૂં ત્યાં સુધી તમે અહીં બેસો.’ 37પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા; 38પછી ઈસુ તેઓને કહે છે કે, ‘મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.’

39પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઓ.” 40પછી શિષ્યોની પાસે ઈસુ આવે છે અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, ‘શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? 41તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’

42બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, ‘ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઇ ન શકે તો તમારી ઈચ્છા પ્રમાણે થાઓ.’ 43ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમકે તેઓની આંખો [ઊંઘથી] ભારે થઇ હતી. 44ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

45ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે, ‘હવે ઊંઘ્યા કરો અને આરામ લો; જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે. 46ઉઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.

47તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્યયાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોક તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા. 48હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.

49તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ’ અને તેને ચુંબન કર્યું; 50ઈસુએ તેને કહ્યું કે, ‘મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.’ ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.

51પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી અને પ્રમુખયાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો. 52ત્યારે ઈસુ તેને કહે છે કે, ‘તારી તરવાર મ્યાનમાં પાછી મુક; કેમકે જેઓ તરવાર પકડે છે તેઓ તરવારથી જ નાશ પામશે.’ 53શું તું ધારે છે કે હું બાપની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર ટુકડીઓ કરતાં વધારે દુતોને મારી પાસે મોકલી દે? 54તો ધર્મશાસ્ત્ર[માં જે લખેલું છે] કે, ‘એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?’

55તેજ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, ‘તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો નહતો. 56પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે. ‘ત્યારે બધા શિષ્યો ઈસુને મુકીને જતા રહ્યા.’

57પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઇ ગયા. 58પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ભાલદારોની સાથે બેઠો.

59મુખ્યયાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી; 60જો કે ઘણા જુઠા સાક્ષીઓ આવ્યા, પણ તેમની સાક્ષી મળતી આવી નહિ; પણ પાછળથી બે માણસો આવીને, 61બોલ્યા કે, તેણે [ઈસુએ]કહ્યું હતું કે, હું ઈશ્વરના ભક્તિસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’

62ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, ‘શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ શાહેદી આપે છે.’ 63પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખયાજકે ઈસુને કહ્યું, ‘હું તને જીવતા ઈશ્વરના સમ આપૂ છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે તું જ છે કે નહિ, એ અમને કહે.’ 64ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.

65ત્યારે પ્રમુખયાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, ‘એણે દુર્ભાષણ કર્યું છે; આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. 66તમે શું વિચારો છો?’ તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘મૃત્યુદંડને પાત્ર છે.

67ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી; અને તેને થપ્પડો મારતાં 68કહ્યું કે, ‘ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.’

69પિતર બહાર ચોકમાં બેઠો હતો, ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે, ‘તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.’ 70પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, ‘તું જે કહે છે તે હું જાણતો નથી.’

71તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને દેખીને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, ‘એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.’ 72પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, ‘હું તે માણસને ઓળખતો નથી.’

73થોડી વાર પછી પાસે ઉભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, ‘ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમકે તારી બોલીથી તું ઓળખાય છે.. 74ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘હું તે માણસને ઓળખતો નથી.’ તરત જ મરઘો બોલ્યો. જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, ‘મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,’ તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.

75

Copyright information for GujULB